Showing posts with label Dikari. Show all posts
Showing posts with label Dikari. Show all posts

Friday, May 4, 2012

દીકરી દેવો ભવ - મોરારીબાપુ

મારી દષ્ટિએ મા એ મમતાનીમૂર્તિ છે, પિતા વાત્સલ્યમૂર્તિ છે, પરંતુ દીકરી એ દયાની મૂર્તિ છે. એ મમતા છોડીને પતિગૃહે જાય છે. એના વાત્સલ્યનું સ્થાન પણ બદલાતું હોય છે, પરંતુ એનું દયાપણું અકબંધ રહે છે. અને તે ખાસ કરીને પિતા તરફથી એની દયા, મારા અનુભવમાં ખૂબ જ વિશેષ હોય છે.

દીકરી જીવનની તમામ ઘટનાઓને પોતાના વિવેક અને મા-બાપના સંસ્કારના બળે સહી લેતી હોય છે, જીરવી લે છે, પરંતુ એના બાપને કાંઈ થાય એ એના માટે સદાય અસહ્ય હોય છે. કોઈ એને કહે કે તારા પિતાની તબિયત બરાબર નથી. બસ, દીકરીની સ્થિતિ દીકરી જ જાણે.

મારી સમજ કાંઈક એવી છે કે પુત્ર એ પિતાનું રૂપ છે, પરંતુ પુત્રી એ તો પિતાનું સ્વરૂપ છે. પુત્રએ બાપનો હાથ છે, પરંતુ દીકરી એ બાપનું હૈયું છે. અને એટલે જ તો બાપ જ્યારે કન્યાદાન આપતો હોય ત્યારે, એ દીકરીનો હાથ જમાઈના હાથમાં આપતો હોય છે, પરંતુ વાસ્તવમાં તો એ પોતાનું હૈયું જ આપતો હોય છે. અને એટલે જ તો આપણા સમર્થ લોકકવિ શ્રી દાદભાઈએ ‘કાળજા કેરો કટકો મારો હાથથી છૂટી ગ્યો’ આવી અનુભૂત વાત ગાઈ છે.

દીકરીને વળાવે ત્યારે બાપની ઉંમર હોય એના કરતાં થોડાં વરસ વધી ગઈ હોય એવું અનુભવાય અને લોકોને લાગે પણ, પરંતુ એ જ દીકરી સાસરેથી બાપને મળવા આવે ત્યારે બાપ પાછો હોય એટલી ઉંમરવાળો દેખાય અને ગામડાંમાં તો દોડી પડે, મારો બાપ આવ્યો….મારો દીકરો આવ્યો….

એમાંય દીકરીને ત્યાં બાળકમાં દીકરીનો જન્મ થાય ત્યારે બાપ વધારે નાનો (નાના) થઈ જતો હોય છે. જુવાન દીકરી વૃધ્ધ બાપની મા બની જતી હોય છે. અને મા જેમ બાળકને આગ્રહ કરીને જમાડે, સાચવે વગેરે ભાવ દીકરી બાપ તરફ વહાવતી હોય છે. એટલે દીકરીવાળો બાપ ક્યારેય નમાયો નથી હોતો.

ઘરથી દૂર હોવાનું મારે ખૂબ બને છે. કુટુંબીજનો મારા સાંનિધ્યથી દૂર હોય છે, પણ તેનાથી લાગણીનાં બંધનો વધુ મજબૂત થયાં છે. મારી દષ્ટિએ એ અપવાદ પણ હોઈ શકે, કારણકે હું શરિરથી બહાર ફરતો હોઉં છું, પણ મનથી તેમના તરફ અને એ લોકો મારા તરફ વધારે રહ્યાં છે. એથી અમારું મમતાનું બંધન વધુ મજબૂત થયું છે. અને મારું રામકથાનું જે આ સતત અભિયાન છે, આ પરંપરા છે, મિશન છે, તેમાં સમગ્ર પરિવારનું બહુ જ મોટું યોગદાન છે. નહીંતર મને બરાબર યાદ છે, મારી સૌથી નાની દીકરી શોભના, નાની હતી ત્યારે વડોદરાની કથામાં હું જઈ રહ્યો હતો.

મારો નિયમ છે કે હું કથામાં જાઉં ત્યારે બધાં બાળકોને મળીને જાઉં. વહેલું નીકળવાનું હોય તો તેમને જગાડીને કહેતો જાઉં કે બેટા, હું જાઉં છું. એક વખત શોભનાએ મને પૂછેલું; ત્યારે મને આંસુ આવી ગયાં. પ્રશ્ન ખૂબ જ કરૂણાથી ભરેલો હતો. એણે મને એમ જ પૂછયું, “આ બધી કથાઓ મોટા ભાઈ તમારે જ કરવાની છે ?” શોભના મને મોટા ભાઈ કહે છે. ત્યારે હું સમજી શક્યો હતો કે એને મારું અહીંથી જવું ગમતું નથી. પણ મારા જીવનકાર્યમાં શોભનાનો ખૂબ સહયોગ રહ્યો છે.

રામચરિત માનસમાં લખ્યું છે – “પુત્રી પવિત્ર કિયેઉ કુલ દોઉ’ યાનિ પુત્ર બાપના એક જ કુળને તારે છે, પરંતુ દીકરી બન્ને કુળને, એટલું જ નહીં, ત્રણેય કુળને તારતી હોય છે. ગંગાજીના ત્રણ મહત્વના વિશેષ પાવન સ્થાનો હરિધ્વાર, પ્રયાગ અને ગંગાસાગર. દીકરીરૂપી ગંગા માટે અથવા ગંગા જેવી દીકરી માટે, મા હરિધ્વાર છે, બાપ પ્રયાગ છે અને પતિ ગંગાસાગર છે. એ ત્રણેયને ધન્ય અને પવિત્ર કરે છે આવું મારું દર્શન છે.

હા, દેશ, કાળ અને વ્યકિતને લીધે આમાં અપવાદો હોઈ શકે, પરંતુ મારી અંત:કરણની પ્રવૃત્તિ આવું કહે છે : ‘દીકરી (દુહિતા) દેવો ભવ’.

- તમારી જિત્વા

Wednesday, February 1, 2012

સાચે જ દિકરી વહાલનો દરિયો



‘દીકરી ‘ શબ્દ મને લાગણીશીલ બનાવી દે છે.. કોઈ લગ્ન પ્રસંગે જાવ છું અને જ્યારે કન્યાવિદાયનો સમય આવે છે ત્યારે હૈયું લાગણીવશ બની જાય છે..’કન્યાવિદાય જોઈ શકાતી નથી.મારી વહાલસોય દીકરીની વિદાય વખતે જે હૈયું ભરાય આવ્યું , કહેવા ઘણું જ ચાહતો હતો પણ કશું કહી ન શકાયું ત્યારે કાવ્યરુપે શબ્દો સરી પડ્યાં.

“આશિષ કે દો શબ્દ કહના ચાહૂંગા, મગર કુછ ન કહ શકુ તેરી બિદાઈ પર ,
બસ મેરી આંખ પર એક નજર કર લેના, દો શબ્દ તૂં અપને આપ હી પઢ લેના.”

દીકરી સાથેની આત્મિયતા કંઈ અનોખી અને અદભૂત હોય છે.કોઈ સારું સાસરૂ મળે એવી પ્રાર્થના માત-પિતા કાયમ કરતા હોય અને જ્યારે એ જ દિકરીને સાસરે વિદાય આપતા હૈયું ભરાય જાય જાણે આપણું સર્વસ્વ કોઈ લઈ ગયું હોય એવું ભાસે! હર્ષને શોકના આંસુ ગંગા-જમના જેવા વહેવા લાગે! દીકરીનું બાળપણ યાદ આવી જાય..

“અભી ભી યાદ હૈં તેરી પ્યાર ભરી પપ્પી સે મેરે સારે દિન ખુશી સે ગુજરતે થે,
ઘર પર આતે હી અપની ગુડિયા કો દેખકર સારી થકાન દૂર હો જાતી થી.”

આવાજ વહાલની અનુભૂતિ , દીકરી પ્રત્યેનો અસિમ પ્રેમ, તેમ દિકરી વિષે કવિ-લેખકો શું કહે છે તે જાણીએ..

” તમે ગમે તે કહો, પણ એક વાત સોનાના પતરા પર લખી રાખવા જેવી છે કે દીકરી એ ઘર નું અજવાળું છે, દીકરીના સ્પર્શનો જાદુ તો જુઓ! હું કાંકરનો સ્પર્શ કરું ત્યારે કેવળ કાંકરાજ રહે છે, દીકરી કાંકારાબને સહેજ અડકે કે તે તરત જીવ-વગરના કાંકર જીવતા પાંચીકા બની જાય.. -અનિલ જોશી

‘દીકરો એટલે અહં એષણા ‘નામ કરેગા રોશન’ દીકરી એટલે સ્વાર્પણની ભક્તિમય નમ્રતાની , ઓગળી જવાની તૈયારી. મારે મન તન્વી( દીકરી)એટલે પ્રભુએ(પ્રભુ એટલે મારા અહંકારની બહારનું બધુંજ જે છે વિશ્વનાં તે) એ પરમેશ્વરે -મને જે અગાધ આનંદ આપ્યો એનો ઋણભાર. -બકુલ ત્રિપાઠી

‘આપણી ભારતિય સંસ્કૃતિમાં સમર્પણ છે , ત્યાગ છે અને એવું જો ત્યાગનું પાત્ર હોય તો તે દીકરી છે . આપણે ત્યાં એમ કહેવાય છે કે પોતાના ઘરમાં દીવો કરે એને દીકરો કહેવાય અને બીજાના ઘર જઈ દીવો કરે એને દીકરી કહેવાય . દીકરો બે કુળને તારે -બાપના કુળને મોસાળના કુળાને ;પણ દીકરી ત્રણ કુળને તારે છે-બાપના, મોસાળના અને સાસરાના.’ - ભીખુદાન ગઢવી

‘જે પતિપત્નિને સંતાનમાં એકજ પુત્રી છે એ પિતા પિતૃત્વની ચરમતમ ઊંચાઈને સ્પર્શી જતા હોય છે. પુત્રી અને એકજ પુત્રી, ગયા ભવમાં પુણ્ય કર્યા હોય એનેજ આ ભવમાં મળે છે.’ -ચંદ્રકાંત બક્ષી

‘મારી સમજ કાંઈક એવી છે કે પુત્ર એ પિતાનું રૂપ છે, પરંતુ પુત્રી પિતાનું સ્વરૂપ છે . પુત્ર એ બાપનો હાથ છે , પરંતુ દીકરી એ બાપનું હૈયું છે અને એટલે જ બાપ જ્યારે કન્યાદાન આપતો હોય ત્યારે , એ દીકરીનો હાથ જમાઈના હાથમાં આપતો હોય છે, પરંતુ વાસ્તવમાં તો એ પોતાનું હૈયું જ આપતો હોય છે.’ -મોરારિ બાપુ

‘પુત્રીને માતાના રૂપમાં , ભગિનીના રૂપામાં, પત્નિના રૂપમાં, સાસુના રૂપમાં કે કોઈ પણ સ્વરૂપમાં જોતાં એક હકીકત જે સૌથી ઉપર તરી આવતી હોય તો તે એ કે તે પોતાની જાતને ચંદનની જેમ ઘસીને બીજાને સુખ, શાંતી પહોંચાડે છે.’ -ડૉ. રાજેશ કામદાર

‘પાનેતર ઓઢેલી આપણી પુત્રીઓ રચના-નેહા આપણને પગે લાગશે ને વિદાય માગશે ત્યારે…ત્યારે… કહેતાં અનિલે ડૂસકું ભર્યું, હા ત્યારે અસ્તિત્વના મીઠડા અંશને આપણે આંગણેથી વિદાય આપીને , હોઈશું તેનાથીયે વધારે બુડ્ઢા થઈ જઈશું’
એવું બોલ્યો ન બોલ્યો ને મનેય ગળે ડૂમો બાઝી ગયો. મારી બેઉની આંખોમાંથી સરસર આંસુ નીતરવાં અલાગ્યા ને અમે એક્મેકના ખભે માથું ઢાળીને ક્યાંય હૈબકતાં રહ્યાં. -રમેશ પારેખ (સૌજન્ય :રમેશ પારેખ)

આપને આ પોસ્ટ કેવી લાગી તે અંગેના આપના પ્રતિભાવ જરૂર જણાવજો. ચાલો હું ચાલી ...આવતીકાલે મારો જન્મદિવસ છે અને હજુ ધણી તૈયારીઓ કરવાની બાકી છે.

- તમારી જિત્વા

Monday, January 30, 2012

મારી દીકરી મને બહુ ગમે છે

આજે ઇન્ટરનેટ પર www.layastaro.com નામની સાઇટ પર મીનાક્ષી કૈલાસ પંડિતની સરસ મજાની કવિતા વાંચવા મળી તમને પણ ગમશે.

દીકરી

મારી દીકરી મને બહુ ગમે છે
નાની અમસ્તી, બોલતી, રમતી,
ફોટા જેવી ઢીંગલી.

દોડતાં દોડતાં પડી જાય છે ત્યારે
ફૂલના ઢગલા જેવી લાગે છે
કાંઈ પણ ખવડાવો તો એ
ડ્રેસ ઉપર જરૂર નાંખે છે તોય એ
ગંદા થતા જ નથી.

એ ખિલખિલાટ હસે છે ત્યારે
ખોબલો ધરી હાસ્ય ભેગું કરી
પર્સમાં મૂકી દઉં છું હું
પછી આખો દિવસ એ પર્સ ખોલી
દીકરીના હાસ્યથી મારા ચહેરાને
ભર્યા કરું છું.

દીકરી મોટી થઈ જશે ત્યારે ?

- મીનાક્ષી કૈલાસ પંડિત (સૌ. www.layastaro.com )

- તમારી જિત્વા

Saturday, January 28, 2012

દિકરી બીજું શું લખું...

પપ્પાના હાથમાં કાલે એક કંકોત્રી આવી. આ સરસ મજાની કંકોત્રીમાં એક સરસ મજાની કવિતા હતી. સાસરે જતી દિકરી માટે એક પિતાએ લખેલી કવિતા. કવિતાના રચિયતા વિશે તો માહિતી નથી મળી શકી પરંતુ આ કવિતા તો તમારી સાથે મારે શેર કરવી જ રહી. તો વાંચો આ કવિતા...


દીકરી બીજું શું લખું...

દીકરી તારા સૌભાગ્યનું કંકુ આજ ઘોળી લાવ્યો છું, વિદ્યાતાએ જે લખ્યું હતું તે સરનામું શોધી લાવ્યો છું.
છે તું મારા કાળજાનો કટકો, વેગળી કરી નથી ક્યારેય,તારી અમારી જુદાઇનું કોઇને વચન દઇને આવ્યો છું.
દીકરી તારુ પાનેતર આજ ખરીદીને આવ્યો છું,સ્વપ્ન મારા જે હતા તે પાલવમાં બાંધી લાવ્યો છું.
પારકી થાપણ તું છે,ક્યાં સુધી બીજાની સંભાળુ,તારે હૈયે તારી કંકોત્રી હેતના તેડા લખવા આવ્યો છું.
સંસાર તારો સ્વર્ગ બને એ જ આશિષ બન્ને કુળને,લુછો આંસુ દીકરી,ખુશીનો અવસર લાવ્યો છું.
મારી લાડકી ઢિંગલી માટે,રણઝણ ઝાંઝર લાવ્યો છું હૃદય મારૂં રડે છે,પણ મુખ પર સ્મિત લાવ્યો છું.
પહાડ જેવા બાપ પણ રડી પડે છે દીકરીની વિદાયથી,આંગણું મારુ સુનુ થશે,હું વિવશ બનીને આવ્યો છું.
પ્રથમ મા ઉમિયા બોલીને પ્રવેશ કરજે,તારા ઘર સંસારમાં,લાડકી મારી ખૂબ સુખી થજે.
જયશ્રી કૃષ્ણ કહેવા આવ્યો છું.


કવિતા વાંચીને આંખનો ખુણો ભીનો થઇ ગયો ને ? થાય, પ્રસંગ જ એવો છે ને કે આંખનો ખુણો ભીનો ન થાય તો આંખ છે કે કાચ તે તપાસવું પડે.

કંઇ વાંધો નહીં, તમારા ધ્યાનમાં પણ આવું કંઇ આવે તો મારી સાથે શેર કરતાં રહેજો અને હા કવિતા કેવી લાગી તે જણાવવાનું ભુલતા નહીં હો...

- તમારી જિત્વા